મસાલેદાર અને ચટપટી કોઈપણ વાનગી અને એમાંય જો આપણને ભાવતી હોય તો એ જરા વધુ જ ખાઈ લેવા મન લલચાતું હોય છે. તો કોઈને માત્ર કુકિંગ કરવાનો જ શોખ હોય છે. તેમને વાનગીઓમાં વિવિધ અવનવા પ્રયોગો કરવા પણ ગમતા હોય છે. આપણને ઉનાળાં કે કોઈ નવરાત્રી જેવા તહેવારોમાં અથવા કોઈવાર અમસ્તું જ એવી વાનગીઓ બનાવવાની ઇચ્છા થાય છે કે તેમાં ડુંગળી લસણ ન નખાયેલા હોય.
કોઈ માંદું પડ્યું કોય કે ઓછો તામસી અને ઓછા મસાલાવાળી વાનગી પણ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોઈ શકે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે ને? અમે આજે તમારા માટે કેટલીક એવી વાનગીઓ પસંદ કરીને લાવ્યાં છીએ જેમાં તમે કાંદા – લસણ નાખ્યા વિના જ અસ્સ્લ સ્વાદ લાવી શકશો.
તમારા એવા મિત્રો ને વડીલો તો ખુશ થઈ જશે જેઓ કાંદા – લસણ નથી ખાતાં. તેમાં પનીર, છોલે અને કબાબનો પણ સમાવેશ કરીએ તો તમને જરૂર ઘરે બનાવવાનું મન થઈ જશે ને?
૧૦ એવી વાનગીઓ જેમાં ડુંગળી – લસણ ઉમેર્યા વગર પણ એવો જ સ્વાદ આવશે, આ વાંચીનેસ જરૂર બનાવજો.
પનીર ભૂર્જી
ઉત્તર ભારતની ખાસ કરીને પંજાબી ક્યુઝીનમાં જેનો સમાવેશ પહેલાં થયો છે તેવી આ વાનગી છે. પનીરને ખમણીને કે હાથથી સાવ છૂંદીને તાજા ઘી સાથે ટમેટાની ગ્રેવીમાં સાંતળીને આ સ્વાદિષ્ટ શાક બનાવાય છે. તેમાં બહુ જ ઓછા પ્રમાણમાં લીલા મરચાં અને ગરમ મસાલો નાખીને એક સરસ સબ્જી બનાવી શકાય છે. ગરમ ગરમ જ રોટલી, પૂરી કે પરોઠા સાથે કે પુલાવ સાથે પણ આ ખૂબ જ સારું લાગે છે. જેમને દાંત નથી અને કાંદા – લસણ પણ નથી ખાતાં એવા વડીલોને આ જરૂર ભાવશે.
રાજમા વીથ ટોમેટો ગ્રેવી
તમને લાગશે કે રાજમા તો ક્યારેય ડુંગળી લસણ વગર બનાવી નહીં શકાય. રાજમાને કોઈપણ ભારતીય પસંદ ન કરતું હોય તેવું ન બને. રાજમા બનાવતાં પહેલાં તેને આઠથી દસ કલાક પલાળી રાખવા પડે છે. ત્યાર બાદ તેને બનાવતી વખતે દાણો દબાય એ રીતે યોગ્ય પ્રમાણમાં બફાય તે પણ જરૂરી છે.
ડુંગળી લસણ વગરના રાજમા બનાવવા ટામેટાની ગ્રેવીને તેલ અને ઘી જે આપને યોગ્ય લાગે એ રીતે બંને લઈને સપ્રમાણમાં લઈને સાંતળી લો. તેમાં સ્વાદ ઉમેરવા માટે આદુ અને લીલાં મરચાંનો ઉપયોગ જરૂરથી કરવો. બરાબર ચડી ગયેલા રાજમા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને સ્ટીમ રાઈસ, જીરા રાઈઝ કે પુલાવ સાથે ખાવાનું લોકો પસંદ કરે છે કેમ કે તેની ગ્રેવી પણ ખૂબ જ સરસ હોય છે.
પનીર રસદાર
પનીરનું શાક સૌને ભાવતું હોય છે અને તેમાં પણ કોઈ વેરિયેશન મળી જાય તો મજા આવી જાય. આ રેસિપીમાં પનીરના ક્યુબ્સને લીલા ચણા સાથેનું કોમ્બીનેશન છે. જેમાં ટામેટા, ધાણાજીરું અને એલચી – લવીંગની સાથે હળદર, આદુ મરચાંની પેસ્ટની પાણી મિક્સ કરીને ગ્રેવીમાં પકવવાની છે. તેમાં પણ તેલને બદલે ઘીનો જ ઉપયોગ કરવાનો રહેશે. સોફ્ટ અને ગરમા ગરમ પનીરની આ સબ્જી લસણ – ડુંગળી વગર જ બની છે એવું કોઈ જ નહીં કહે.
પનીર મખની
આ એક વ્હાઈટ ગ્રેવીમાં બનાવવામાં આવતી સહેજ મીઠી લાગતી પનીરની ડિશ છે. તેમાં લીલા વટાણાં, ગાજર અને કોબીનું છીણ સાથે ખમણેલું પનીર પણ બનાવી શકાય છે. તેને નાન, પરાઠા, કુલચા અને રોટલી સાથે ખાઈ શકાય છે. લસણ – ડુંગળી આમાં પડતાં જ નથી. તેમાં એલચી, લવિંગ, બાદિયા અને તજ જેવા મીઠા તેજાનાને ઘીમાં વઘારીને બનાવાય છે.
મખમલી કોફ્તા
આ પણ એક સરસ વિકલ્પ છે જેમને લસણ ડુંગળી વિનાનું છતાં પણ સ્વાદિષ્ઠ ભોજન લેવું હોય તેમને માટે. આમા ખોયા એટલે કે દૂધનો તાજો મોળો માવો અને પનીરને લઈને બનાવાય છે. તેને તાજા ધી સાથે સાંતળીને માવાના પોચા બોલ્સ કોફ્તા બનાવાય છે જેને આદુ મરચાં અને ટામેટાની ગ્રેવીના વઘાર સાથે બનાવાય છે. સર્વ કરતાં પહેલાં તેના પર મલાઈનું લેયર કરવાથી તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કડાઈ પનીર
ખરેખર તો કડાઈ પનીરમાં લસણ ડુંગળી ભારોભાર નખાય છે. પરંતુ આજે આપણે અહીં તેનો સ્વાદ તેમના વગર જ માણીએ. તેને પંજાબી કાજુ, મગતરીના બી અને મલાઈવાળી ગ્રેવીમાં બનાવશો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
કાબૂલી છોલે ચણા
આ એક એવી વાનગી છે કે કોઈપણ મહેમાન આવે ત્યારે આ ડિશ તો બનતી હોય છે પછીએ ભારતનું ગમે તે ઘર હોય. ખાસ કરીને ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાત. છોલેને રાત આખી પલાળી રાખીને બનાવવા સમયે બરોબર બાફી દેવા. તેને બનાવવા ડુંગળી – લસણ ન વાપરવા હોય તો તેને બદલે ગરમ મસાલો, હિંગ તેમજ એલચી – લવિંગ અને લીલાં મરચાંનો મસાલો કરવો જોઈએ. તેમાં ટામેટાંની ગ્રેવીમાં આદુ પણ છુંદીને નાખી શકાશે. આ ઓલ ટાઈમ ફેવરિટ છોલેને કુલચા, પૂરી કે ભટૂરે સાથે ગરમા ગરમ ખાવા જોઈએ.
વટાણાનું મસાલેદા શાક
આ શાકને પણ તમે જોઈએ તેટલું મસાલેદાર બનાવી શકો છો. તેમાં હિંગ, આખા ધાણા, ધાણાજીરું અને લાલ મરચું, હળદર તેમજ આદુ નાખીને તેલ સાથે બનાવી શકો છો. તે રોટલી, બાજરાનો રોટલો કે ભાખરી સાથે સરસ લાગશે. એકદમ દેશી ટેસ્ટ માટે આ શાક બેસ્ટ છે.
હરા કબાબ
આને તમે નાસ્તામાં પણ લઈ શકો અને સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. બાફેલા વટાણાંમાં તમે કાંદા લસણ ઉમેર્યા વિના જ ઘાણાભાજી નાખીને તેમાં હીંગ, આદુ, લીલા મરચાની કટકી અને હળદર લાલ મરચું ઉમેરીને ઓછા તેલ કે ઘીમાં સાંતળીને બનાવી શકો છો.
મેસ્ડ ફ્લાવર સબ્જી
આ શાકમાં પણ બાફેલા વટાણાં સાથે તમે ભરપૂર તેજાના, ટમેટા, આદુ – મરચાંનો ઉપયોગ કરી શકો છો. બરાબર ચડી ગયેલા ફ્લાવરના શાકને પાઉંભાજીના તવાથી દબાવીને સહેજ મેશ કરી દેવાથી તેનું એક્દમ એકરસ શાક બને છે.
બહુ જ ઓછા મસાલા, ડુંગળી – લસણ વિના જ અને મીઠું પણ સપ્રમાણ નાખેલું કોઈપણ શાક તમે બનાવો ત્યારે તે સરસ લાગે છે. તમે કઈ ગમી અને તમે કઈ બનાવો છો એ કહેજો અને આમાંથી કોઈ રેસિપી ચોક્કસ બનાવજો.