મિત્રો, ઉનાળો એટલે જાતજાતના મરી મસાલા તેમજ અથાણાં બનાવવાની સીઝન, આ સીઝનમાં ગૃહિણીઓ જાત જાતના મરી મસાલા, વેફર્સ, ફ્રાઇમ્સ તેમજ અથાણાં બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. તો આજે હું આપની સાથે અથાણાની એક સરસ વેરાયટી શેર કરવા જઈ રહી છું જે છે આખી કેરીનું અથાણું.
આ અથાણું ખુબ જ ટેસ્ટી બને છે તો આ વખતે અવશ્ય બનાવજો. ઘણા લોકોની એવી કમ્પ્લેઈન હોય છે કે મારાથી અથાણું ખરાબ થઈ જાય છે તો આજે હું તમને એ પણ બતાવીશ કે શું શું બાબતોનું ધ્યાન રાખવાથી અથાણું લાંબો સમય સુધી સારું રહે તો ચાલો બતાવી આખી કેરીનું અથાણું બનાવવાની રીત
સામગ્રી :
- Ø 500 ગ્રામ કાચી કેરી
- Ø 50 ગ્રામ આખી મેથી
- Ø 300 થી 400 મિલી તેલ
- Ø 100 ગ્રામ મેથી ના કુરિયા
- Ø 50 ગ્રામ રાઈ ના કુરિયા
- Ø 1 ટેબલ સ્પૂન વરિયાળી
- Ø 1/2 ટેબલ સ્પૂન હિંગ પાવડર
- Ø 1 તજની સ્ટિક
- Ø 5 – 7 નંગ લવિંગ
- Ø 8 – 10 મરી દાણા
- Ø 3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
- Ø 1 & 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર
- Ø 4 ટેબલ સ્પૂન મીઠું
રીત :
1) સૌપ્રથમ કેરીને સાફ પાણીથી ધોઈ કોરી કરી ચાર કાપા પાડી લો. જે રીતે ભરેલા રીંગણ બનાવતી વખતે જે રીતે રીંગણને કાપા મૂકીએ એ રીતે કાપા મુકવાના છે. સ્કેર કાપા મૂકી હળવા હાથે ગોટલીઓ દૂર કરી લો.
2) કેરીને મોટા બાઉલમાં લઈ લો. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન મીઠાં સાથે પોણી ચમચી હળદર મિક્સ કરી, થોડું થોડું મિશ્રણ કેરીની અંદરની બધી સાઈડમાં લગાવી લો. હળદર મીઠાનું કેરીની અંદર લેયર બની જાય એ રીતે લગાવવાનું છે. બચેલું મિશ્રણ ઉપરથી એડ કરી દેવું.
3) હવે કેરીને બાઉલમાં ઉપર નીચે કરી લો જેથી કેરીમાં અંદર બહાર બધી જ સાઈડ હળદર મીઠાનું લેયર ચડી જાય.
4) ઉપરનીચે કરી લીધા બાદ ઢાંકીને રાખી દો, કેરીની ઉપરનું લેયર પીળાશ પડતું થઈ જાય ત્યાં સુધી કેરીને હળદર મીઠામાં રાખવાનું છે. લગભગ બે દિવસ જેટલો સમય લાગશે.
5) આખી કેરી સાથે આખી મેથીનો ટેસ્ટ ખુબ જ સારો લાગે છે તો અહીંયા આખી મેથીને આઠેક કલાક માટે પલાળી રાખવાની છે.
6) બે દિવસ પછી કેરીને નિતારી સાફ કોટનના કપડામાં સુકવી દેવાની છે. કેરી નિતારી જે ખાટું પાણી બચે તે સાચવી રાખવું જે ઘણા બધા અથાણાં બનાવવામાં કામ આવશે.
7) હવે મેથીને પાણી નિતારી આ ખાટા પાણીમાં પલાળવાની છે જેથી મેથીની કડવાશ ઓછી થાય, જ્યાં સુધી કેરી સુકાય ત્યાં સુધી મેથીને ખાટા પાણીમાં રાખવાની છે.
8) હવે અથાણાં માટેનો મસાલો તૈયાર કરીશું તો તે માટે તેલને ધુમાડા નીકળે તેટલું ગરમ કરવાનું છે. તેલમાંથી ધુમાડા નીકળે એટલે સ્ટવની ફ્લેમ ઓફ કરી દો અને તેલને થોડું ઠંડુ કરી દો.
9) હવે એક મોટા બાઉલમાં મેથીના કુરિયા, રાઈના કુરિયા, હિંગ, લવિંગ, તજ તેમજ મરીને અધકચરા વાટીને એડ કરો.
10) હવે તેલ ઠંડુ પડે સહેજ હૂંફાળું હોય ત્યારે મસાલામાં એડ કરો, તેલ થોડું ગરમ એડ કરવાથી કુરિયા થોડા સેકાય જાય છે જેથી અથાણું લાંબો સમય સારું રહે છે. બધું જ તેલ સાથે ના એડ કરતા થોડું તેલ(100 ગ્રામ) જેટલું બચાવવું જે પાછળથી એડ કરવું.
11) હવે એકાદ મિનિટ માટે ઢાંકી દો અને મિનિટ પછી તેમાં પોણી ટેબલ સ્પૂન હળદર એડ કરી મિક્સ કરી લો અને મસાલાને સાવ ઠંડો થવા દો.
12) મસાલો ઠંડો પડે ત્યાં સુધી મેથી દાણામાંથી ખાંટુ પાણી નિતારી સાફ કોટનના કપડાં પર સ્પ્રેડ કરી 30 મિનિટ માટે સુકાવા દો.
13) 30 મિનિટ પછી બચેલા તેલને ગરમ કરી તેમાં માંથી દાણા એડ કરી સ્ટવની ફ્લેમ ઑફ કરી દો.
14) આ મેથી દાણાને તેલ સાથે જ અથાણાંના મસાલામાં એડ કરી દો, સાથે જ તેમાં 2 ટેબલ સ્પૂન મીઠું, 3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું તેમજ વરિયાળી એડ કરી મિક્સ કરી લો.
15) હવે કેરીમાં આ મસાલો ભરી કાચની સાફ બરણીમાં ભરી લો. બરણીમાં કેરી સાથે વચ્ચે વચ્ચે મસાલો પણ એડ કરવો જેથી અથાણું ખરાબ ન થાય.
16) તો મિત્રો અહીં આખી કેરીનું અથાણું બનીને તૈયાર છે, તો આ વખતે તમે પણ જરૂરથી બનાવજો ખુબ જ સરસ ટેસ્ટ આવે છે. બનાવતા પહેલા એકવાર વિડીયો અચૂક જોઈ લેજો જેથી અથાણું બનાવવા કોઈ ભૂલ ન થાય અને તમારું અથાણું પણ પરફેક્ટ બને.
નોંધ :
અથાણું બનાવતી વખતે નીચેની બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે જેથી અથાણું ખરાબ ન થાય અને આખું વર્ષ સુધી ટેસ્ટ અને કલર પણ જળવાઈ રહે.
v કેરીને ધોઈને બરાબર સાફ કરી લેવી જો કેરીના ઉપરના લેયર પર પાણીનો ભાગ રહી જાય તો અથાણું ખરાબ થઇ શકે છે.
v અથાણું બનાવવા માટે વપરાતી વસ્તુ જેવી કે છરી , વાસણ સાફ અને કોરું લેવું.
v અથાણાં ભરવા માટેની બરણી ધોઈ કોરી કરી લેવી તેમજ તડકે તપાવીને યુઝ કરવી.
v અથાણામાં વપરાતા મસાલાને હળવા રોસ્ટ કરી યુઝ કરવા જેથી તેમાં રહેલ ભેજ દૂર થાય.
v મીઠું પણ હળવું શેકીને યુઝ કરવું.
v બરણીમાં અથાણું ડૂબાડૂબ રહે તેટલું તેલ એડ કરવું, તેલ ઓછું હોય તો પણ અથાણું ઝડપથી ખરાબ થઈ શકે.
આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી અથાણું ખરાબ નથી થતું તેમજ આખું વર્ષ માટે ટેસ્ટ તેમજ કલર પણ જળવાઈ રહે છે.
રસોઈની રાણી : અલ્કા સોરઠીયા
વિડીયો લિંક :