મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને અનુભવ થયો. મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા. માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી.
ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચાની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો મંત્રી અરવિંદ રૈયાણી મુખ્યસચિવ પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા.
અંબાજીની મુલાકાત અંતર્ગત કોટેશ્વર ખાતે સ્થાનિક પ્રજાજનોને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. pic.twitter.com/UZge8NfGJO
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 8, 2022
અંબાજીમાં વિકાસ કાર્યોનો શુભારંભ
મુખ્યમંત્રીએ આદ્યશક્તિના દર્શન બાદ અંબાજી મંદિર સંકુલમાં એગ્રો મોલનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, પબ્લિક એડ્રેસ સિસ્ટમનું લોકાર્પણ તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઇલ એપનું લોન્ચિંગ પણ કર્યું હતું.મુખ્યમંત્રીએ વિચરતી વિમુક્ત જાતિના કુલ 41 મહિલા લાભાર્થીઓને 80 ચો.મી. ના પ્લોટની સનદનું વિતરણ કર્યું હતું. અંબાજી ગામની આસપાસ વિચરતી વિમુક્ત જાતિના પરિવારો માટે ‘શ્રી શક્તિ વસાહત’ નું નિર્માણ થઈ રહ્યું છે જેમાં પાકા રહેણાકની સુવિધા સરકારના સહયોગથી ઉપલબ્ધ થશે.