ફરાળી ચવાણું – વ્રત અને ઉપવાસમાં ખાઈ શકીએ એવું ફરાળી ચવાણું…

કેમ છો? નવરાત્રી શરુ થઇ ગઈ છે અને ઘણા મિત્રોએ ઉપવાસ પણ કર્યો જ હશે. હવે ઉપવાસ કર્યો હોય એટલે પહેલાની જેમ આખો દિવસ તો કાંઈ બહુ ખવાય નહિ. ફ્રૂટ ખાઈને પણ ઘણીવાર કંટાળો આવી જતો હોય છે. અને તમે માર્ક કરજો જયારે ઉપવાસ કે વ્રત કર્યું હોય ત્યારે જ કાંઈક નવીન અને ચટપટું ખાવાની ઈચ્છા થાય. હશે માતાજી પરીક્ષા લેતા હશે એમ માનવું પણ ભૂલથી પણ વ્રત ઉપવાસ તોડવા નહિ.

આજે વ્રત અને ઉપવાસ માટે લાવી છું એક નવીન વાનગી ચવાણું હા આ ચવાણું ફરાળી છે જે તમે વ્રત અને ઉપવાસમાં આરામથી ખાઈ શકો છો. હવે તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો ફટાફટ શીખી લઈએ ફરાળી ચવાણું.

સામગ્રી

  • બટાકા – 2 મોટા નંગ
  • શીંગદાણા – એક નાની વાટકી
  • સાબુદાણા – એક વાટકી
  • કાજુ – એક નાની વાટકી
  • સૂકી દ્રાક્ષ – એક નાની વાટકી
  • મીઠો લીમડો – ચાર થી પાંચ પાન
  • મીઠું – સ્વાદ મુજબ
  • મરી પાવડર – અડધી ચમચી
  • લાલ મરચું – સ્વાદ મુજબ (ઓપશનલ)

1. સૌથી પહેલા આપણે મોટા બટેકા લઈશું અને તેને છોલી લઈશું.

2. હવે તે બટેકાનું છીણ બનાવી લઈશું બટેકા છીણવાં માટે તમે રેગ્યુલર છીણીનો ઉપયોગ કરી શકો છો પણ છીણી એવી લેવી કે જેમાંથી થોડું જાડું છીણ પડે. આદુ છીણવાની છીણીથી બટેકાનું છીણ કરવું નહિ.

3. હવે એ છીણને પાણીમાં ડુબાડી દેવું અને બે કે ત્રણ વાર બરાબર ધોઈ લેવું.

4. હવે તેમાંથી બરાબર નિતારીને છીણ એક જાડા અને કોરા નેપકીન પર પાથરી લેવું.

5. આપણે છીણને એકદમ કોરું પાડવાનું છે.

6. છીણ બરાબર કોરું થાય તેના માટે બીજા એક નેપકીનની મદદથી તે છીણ પર પાથરીને દબાવી લેવું.

7. થોડીવારમાં જ છીણ એકદમ કોરું પડી ગયું હશે.

8. હવે એ છીણને આપે તળી લઈશું.

9. છીણને થોડું ક્રન્ચી અને ડાર્ક થાય ત્યાં સુધી તળવાનું છે. હવે એ છીણને એક બાઉલમાં કાઢી લેવું.

10. હવે ગરમ તેલમાં સાબુદાણા તળી લેવા. સાબુદાણાને પલાળવાના નથી જેમ છે એમ જ તળવાના છે.

11. હવે પછી એ ગરમ તેલમાં શીંગદાણા તળી લેવા. શીંગદાણા તમને પસંદ હોય તો વધારે પણ લઈ શકો છો.

12. હવે તે તેલમાં આપણે કાજુના ટુકડા પણ તળી લઈશું.

13. હવે જો તમને ચેવડા અને ચવાણામાં સૂકી દ્રાક્ષ પસંદ હોય તો તેને પણ ગરમ તેલમાં તળી લો.

14. હે છેલ્લે તેલમાં મીઠા લીમડાના થોડા પાન પણ તળી લેવા.

15. હવે તળેલ બધી સામગ્રી એક બાઉલમાં ભેગી લેવી.

16. હવે આપણે આ તળેલી સામગ્રીના મિક્સરમાં ફરાળી મીઠું લેવું જો તમે રેગ્યુલર મીઠું પણ ખાતા હોય તો એ પણ નાખી શકો છો.

17. હવે આમાં તમે મરીયા પાવડર ઉમેરો. જો તમને તીખું પસંદ છે અને તમે ફરાળમાં લાલ મરચું ખાવ છો તો એ મિશ્રણમાં તમે આ સમયે લાલ મરચું પણ ઉમેરી શકો છો.

18. હવે બધું બરાબર મિક્સ કરી લેવું.

બસ તો તૈયાર છે આ નવીન ફરાળી ચવાણું જે તમે ઉપવાસમાં આરામથી ખાઈ શકો છો. તમે એકવાર જરૂર ટ્રાય કરજો ઘરમાં બધાને પસંદ આવશે જ. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *