ફ્રોઝન ફૂડ ખરીદતા પહેલા રાખો આટલી વાતોનુ ધ્યાન …

અત્યારે ભારતમા પણ ફ્રોઝન ફુડ ખરીદવાની ફેશન ચાલુ થઈ ગઈ છે. અત્યારે ગૃહિણીઓ પાસે પણ સમય ઓછો હોય છે. અને સુપરમાર્કેટમાં તૈયાર ખોરાક મળતો હોય છે. જે ઘરે લાવીને ફક્ત ગરમ કરી ગરમ ગરમ પીરસી શકાય છે. આ સમયે ગૃહીણીનો સમય બચી જાય છે. વળી બાળકોને પણ ગરમ ગરમ ખોરાક મળી જાય છે. અત્યારે જ્યારે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગૃહિણીઓને આવો ખોરાક બનાવી દેવો સરળ પડે છે.

ફ્રોઝન શાકભાજીમાં ફ્રેશ શાકભાજી કરતા પોષણ ઓછું જ મળે તે હકીકત છે. જેમ કે તમે તાજા વટાણા લાવો અને તેને ધોઈને તરત જ વાપરો તેના કરતા તેને ફ્રીઝ કરીને વાપરો તેમાં પોષણ ઓછું જ મળે છે. પરંતુ શાકભાજી કયા તાજા કહેવાય તે પણ એક પ્રશ્ન હોય છે. કારણ કે આપણે સુપરમાર્કેટમાંથી લાવેલા શાકભાજી તાજા ગણીએ છીએ. પરંતુ તાજા શાકભાજી એટલે ગાર્ડનમાંથી તોડીને તરત જ વાપરવામાં આવે તે જ. જ્યારે શાકભાજીને સારી કંપનીવાળા ફ્રીઝ કરે ત્યારે તેઓ તાજામાં તાજા વીણી અને તરત જ ફ્રીઝ કરતા હોય છે. માટે જો અઠવાડિયાથી સુપરમાર્કેટમાં મૂકી રાખેલા શાકભાજી કરતાં અમુક સમયે ફ્રોઝન શાકભાજી વધુ પોષક હોય છે.જ્યારે ફ્રોઝન જ્યુસમાં તાજા ફળોના રસ કરતાં વિટામીન સી ઓછા પ્રમાણમાં હોય છે. પરંતુ અહીં પણ જો રસ કાઢીને લાંબો સમયે મૂકી રાખેલા ફળોના રસ કરતાં ફ્રીઝ કરેલા રસો વધુ સારા છે. થોડું વિટામીન સી ફ્રોઝન જ્યુસમાં ઓછું મળે પરંતુ તેમાં બીજા પોષક તત્ત્વો સચવાયેલા હોય છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે ફ્રોઝન ફુડ ખરીદતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું ?

તમે જ્યારે ફ્રોઝન ખોરાક (રાંધેલ જેમ કે પરાઠા, સમોસા, કટલેસ વગેરે) ખરીદતાં પહેલાં તેમાં આવેલા ન્યુટ્રીશન લેવલ તપાસવા જરૂરી છે.
– જેમ કે – કેલેરી – તમારું આખુ ભાણું 300થી 500 કેલેરીની વચ્ચેનું હોવું જોઈએ.

– ફાઇબર – ફાઇબર 3થી5 ગ્રામ હોવા જોઈએ ફાઇબરથી પેટ ભરેલું લાગે છે માટે વધુ ફાઇબર હોય તેવું સારું ગણાય.
– ફેટ – આખા ખોરાકમાં 30 % જેટલી ફેટ આવવી જોઈએ. એટલે કે ટોટલ કેલેરીની 1-3 કેલેરી ફેટની લઈ શકાય.
– પ્રોટીન – લગભગ 15થી 25 ગ્રામ 1 ખોરાકમાં.
– વધુ પડતાં ડેઝર્ટ કે ગળ્યા ખોરાક ફ્રીઝ કરેલા લેવા યોગ્ય નથી. 1 ચમચા આઇસ્ક્રીમ સાથે એક ફળ ઉમેરીને હેલ્ધી કરી શકાય.
– વધુ પડતા શાકભાજી ફ્રીઝ કરેલા લઈ શકાય કારણ કે શાકભાજીના ફાયબર્સ ફ્રીઝ કરવાથી ઓછા થતા નથી.

– ધ્યાન રાખો ઓર્ગેનીકનું લેબલ લખેલો ખોરાક દરેક વખતે વધુ ફાયબરવાળો અથવા ઓછી કેલેરીવાળો હોતો નથી.
– ફ્રોઝન ખોરાક વાપરતા પહેલાં સૂપ અથવા સલાડ ખાઈ લો જેથી તે ખોરાક ઓછો ખવાશે.
અત્યારે ફ્રોઝન ખોરાકનું ચલણ વધુ છે અહીં પ્રશ્ન એ થાય કે શું તાજો ખોરાક લેવાને બદલે ફ્રોઝન ખોરાક લેવો હિતાવહ છે ? તો જવાબ ના આવે છે. કશું જ ખાવાનું થાય અથવા દરરોજે જંકફુડ ખાવાનું થાય તેના કરતાં ફ્રોઝન ફુડ લેવું સારુ છે. પરંતુ તાજા ખોરાકની જગ્યા કોઈ લઈ શકતું નથી. માટે બને ત્યાં સુધી તો તાજુ જ ખાવ ન ચાલે ત્યારે જ ફ્રોઝન ખોરાક વાપરો.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *