આ ગણેશ ચતુર્થીએ ભોગમાં ધરાવી લો ઘરે બનાવેલો હેલ્ધી લાડુનો પ્રસાદ, મળશે બાપ્પાના આર્શીવાદ

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીકમાં છે ત્યારે તમે રોજ શું ભોગ ધરાવવો તેની ચિંતા કરી રહ્યા હશો. તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ દૂંદાળા દેવના ભોગ માટે ખાસ લાડુ. ગણેશજીને લાડુનો ભોગ અતિ પ્રિય છે. તો જાણો આ લાડુની વિશેષતાઓ વિશે અને જાણી લો સાબુદાણા અને મખાણાના લાડુને બનાવવાની સરળ રીત પણ.

ગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ભક્તો શ્રીજીના મનપસંદ મોદક અને લાડુ બનાવવાનું શરૂ કરે છે. ઘરે ઘરે માટીનાં ગણપતિની સ્થાપનાનું ચલણ છે તે જ રીતે પ્રસાદ પણ બહારથી લાવવાની જગ્યાએ ઘરે બનાવવાનું ચલણ વધ્યું છે. કોરોનાને કારણે લોકો વધુ વિટામીન અને પ્રોટીનયુક્ત તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે તેવી વાનગી બનાવે છે. કોરોનાનાં સમયમાં બહારથી વેચાતી મીઠાઈ લાવવા કરતાં ઘરે બનાવવું પરિવારજનો માટે હેલ્ધી છે. મોદક અને લાડુની પુર્વ તૈયારી કરીને રાખો તો હેલ્ધી મોદક, લાડું બનાવતા ફક્ત 30 મિનિટનો જ સમય લાગે છે. આજે આપણે જે સાબુદાણા અને મખાણા ના લાડું બનાવીશું તેના શું ફાયદા છે તે પણ રેસિપી સાથે જોઈ લઈએ. તો જાણી લો સામગ્રી.

સાબુદાણા મખાણા લાડુ

સામગ્રી

1 બાઉલ – સાબુદાણા
1/2 બાઉલ – મખાણા
1/2 બાઉલ – કોપરાનું છીણ
1/2 બાઉલ – પીસેલી ખાંડ
5૦ ગ્રામ – માવો
4 ચમચી – ઘી
5 ચમચી – કાજુ બદામ ની કતરણ
2 ચમચી – કિશમિશ
1/2 ચમચી – એલચી પાવડર
1/2 ચમચી – જાયફળ પાવડર
1/2 ચમચી – કેસરવાળુ દૂધ

રીત

સૌ પ્રથમ સાબુદાણા અને ઘણા મખાણાને પેનમાં શેકી લેવું.
હવે થોડું ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લેવું.
હવે એક પેનમાં માવાને સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લેવું. હવે તેમાં કોપરાનું છીણ નાખી ૨ થી ૩ મિનિટ શેકી લેવું.
હવે એક બાઉલમાં પીસેલા સાબુદાણાનો પાવડર કાઢી તેમાં મખાણાનો પાવડર, માવો, કોપરાનું છીણ, પીસેલી ખાંડ બધું મિક્સ કરવું.


હવે પેનમાં ૨ ચમચી ઘી લઈ તેમાં કાજુ બદામની કતરણ અને કિશમિશને ફ્રાય કરી ઉપરવાળા મિશ્રણમાં મિક્સ કરવું. સરખું હાથેથી જ મિક્સ કરી લેવું. હવે તેમાં એલચી પાવડર , જાયફળ પાવડર, અને કેસર મિક્સ કરવું.
હવે લાડુના મોલ્ડને ઘી થી ગ્રીસ કરી તેમાં મિશ્રણ ભરવું અને પછી અનમોલ્ડ કરી લેવુ.
ઉપર ચેરીથી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે બાપ્પા માટે ભોગમાં સાબુદાણા મખાણા લાડુ.

સાબુદાણા અને મખાણાના ફાયદા

૧ – સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત જરૂરી ઉર્જા આપવામાં ખૂબ જ સહાયક હોય છે.
૨ – સાબૂદાણાનુ સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે.
૩ – મખાણા માં પ્રોટીન, વિટામીન, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન તેમજ ઝીંક જેવા ખનીજ તેમ જ પોષક તત્વો મળી આવે છે. આ સિવાય મખાણામાં ઔષધીય ગુણ પણ હોય છે. જેથી એ આપણા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે.
૪ – મખાણામાં એન્ટીઓક્સીડેન્ટ અને ઍન્ટિ-એજિંગ તત્વો મળી આવે છે, આથી રોજ ખાવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *