મક્કમ મનના માનવીને કોઈ મુશ્કેલી નડતી નથી. જો નિર્ધાર પાક્કો હોય અને મનમાં સકારાત્મકતા જ હોય તો કોઈપણ વ્યક્તિ પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે. આ વાત કહેવાનું મન થાય એવી છે અમદાવાદની કાવ્યા. કાવ્યાની વાત જાણી તેના પર દયા નહીં પરંતુ તમને પણ ગૌરવ થશે. સૌથી પહેલા તો જણાવી દઈએ કે કાવ્યા 17 વર્ષની છે અને તેને જન્મથી જ એક લાઈલાજ અને ગંભીર બીમારી છે. આ વાતથી કોઈ પણ વ્યક્તિ હતાશ થઈ શકે છે પરંતુ કાવ્યાને આ વાતની કોઈ હતાશા નથી. કારણ કે તેણે આ બીમારી સાથે પણ અદ્ભુત રીતે જીવન જીવ્યું છે અને હજુ પણ તે પોતાના ઉત્સાહ સાથે જીવી રહી છે. એટલું જ નહીં તે લોકોના જીવનમાં પ્રકાશ પાથરતા દીવડા બનાવીને લોકોને પણ અમૂલ્ય ભેટ આપી રહી છે.
17 વર્ષની કાવ્યાને સેરેબલ પાલ્સી નામની બીમારી છે. આ બીમારી જન્મથી જ તેને હતી. આ બીમારીનો કોઈ ઈલાજ આજ સુધી શોધી શકાયો નથી તેથી તેને સ્વીકારીની આગળ જીવન જીવવું તે જ એક માત્ર ઉકેલ હોય છે. આ વાતને કાવ્યાએ પણ બખૂબી સ્વીકારી છે અને તે એકદમ મોજમાં અને સામાન્ય જીવન જીવી લોકો માટે ઉદાહરણ બની ચુકી છે. હાલ દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે કાવ્યા આ સમયે લોકોના ઘરમાં ઉજાસ પાથરતા દીવડાને સુંદર આકર્ષક ડિઝાઈનથી શુસોભિત કરે છે. આ કામ કરીને તે આત્મનિર્ભર પણ બની છે અને તેણે સાબિત કર્યું છે કે તેને બીમારી છે પરંતુ તેને કોઈની દયાની જરૂર નથી.
સૌથી પહેલા તો જણાવી દઈએ કે સેરેબલ પાલ્સી એક ગંભીર બીમારી છે. આ બીમારી મગજમાં થતી ઈજા તરીકે સામે આવી શકે છે. તેના લક્ષણોમાં દર્દીમાં શરીરનો અને મગજનો અલ્પવિકાસ, શરીર અક્કડ રહેવું અને શારીરિક નિયંત્રણનો અભાવ જોવા મળે છે. આ બીમારી હોય તેવા દર્દીને સામાન્ય હલનચલન કરવામાં પણ મુશ્કેલી વધારે રહેતી હોય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ કાવ્યા હિંમત હારતી નથી. શરીરની મર્યાદા તેના મનોબળને તોડી શકી નથી અને તે તેના પરિવાર સાથે મળી રોજના 500 દિવડામાં ડિઝાઈન કરી તેને આકર્ષક રૂપ આપે છે.
ખાસ વાત એ છે કે જે દિવડાને કાવ્યા ડેકોરેટ કરે છે તેને લોકો ખૂબ પસંદ કરે છે. કાવ્યાની ડિઝાઈન જોઈ લોકો તેની કળાને અને તેના મનોબળને સલામ કરી રહ્યા છે. કાવ્યાને જન્મજાત બીમારી છે તે વાતને મર્યાદા ન ગણી તેણે આ ડિઝાઈન કરવાની કળા શીખી અને હવે તેને લોકો સુધી પહોંચાડી રહી છે. જો કે કાવ્યાના માતાપિતા ઈચ્છે છે કે આ બીમારીને લઈને પણ સંશોધન થાય તો તેનાથી પીડિત લોકોને સારવાર મળી શકે. કારણ કે કાવ્યા જેવા લાખો બાળકો આ બીમારીથી પીડિત છે.