દરરોજ ખાવાના મેનુમાં જો કશુંક ચટાકેદાર અને તીખી આઈટમ ખાવા મળી જાય તો જમવાનો આનંદ વધી. જય છે. જો કે દરરોજ સમયના અભાવ અને સ્વાસ્થ્ય સંબંધી કારણોને લઈ આવી વાનગી આપણી થાળીમાં જોવા નથી મળતી. આવા સમયે જો ઘરમાં ચટપટું અથાણું પડ્યું હોય તો મજા જ આવી જાય. કેરી, લીંબુ અને મરચાંના અથાણાં તો તમે ખાધા જ હશે. પરંતુ આજે અમે તમને બટેટાના અથાણાં વિશે જણાવવાના છીએ જે તમારા લંચ કે ડિનરમાં હશે તો તમારી જીભને ચટકારો મળશે. તો શું છે બટેટાનું અથાણું બનાવવાની રેસિપી આવો જાણીએ.
બટેટાનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી
- 4 મીડીયમ સાઈઝના બટેટા
- 1/2 ચમચી લાલ મરચાનો પાવડર
- 1 ચમચી આમચૂર પાવડર
- 1/2 ચમચી હળદર પાવડર
- 2 નાની ચમચી રાઈ (પીસેલી)
- 1 વાટકી સરસિયાનું તેલ
- મીઠું સ્વાદ અનુસાર
બટેટાનું અથાણું બનાવવા માટેની રેસિપી
– બટેટાનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા બટેટાને સારી રીતે ધોઈ, બાફીને ઠંડા કરી લેવા.
– બાફેલા બટેટા ઠંડા થઇ જાય એટલે તેની છાલ ઉતારી નાના નાના ટુકડા કરી લેવા.
– કપાયેલા બટેટાના ટુકડામાં આમચૂર હળદર પાવડર, લાલ મરચા પાવડર, રાઈ અને મીઠું નાખીને મેળવી લેવું.
– હવે ફાસ્ટ ગેસમાં એક પેનને ગરમ કરવા મુકો એ ગરમ થઈ જાય એટલે તેમાં તેલ નાખો, તેલ ગરમ થઇ જાય અને તેમાંથી ધુમાડો ઉઠવા લાગે એટલે ગેસ બંધ કરી તેલને ઠંડુ પડવા દેવું.
– હવે સરસિયાના તેલને થોડું થોડું કરીને બટેટામાં નાખો અને હલાવતા રહો, અડધું તેલ અલગ રાખવું.
લ્યો હવે તમારું ચટપટું બટેટાનું અથાણું તૈયાર છે. હવે આ અથાણાંને કાંચની બરણીમાં ભરી લો અને જે અડધું તેલ વધ્યું હતું તે તેલ ઉપરથી બરણીમાં નાખી દો અને તેનું ઢાંકણું બંધ કરી દો.
આ બરણીને 2 થી 3 દિવસ સુધી તડકામાં રાખવી. અને આ દરમિયાન દિવસમાં એક વખત અથાણાંને હલાવી લેવું જેથી તેનો મસાલો બરાબર મિક્સ થઈ જાય.
3 દિવસ બાદ બટેટાનું આ અથાણું ખાવા લાયક બની જશે. આ અથાણાંને તમે રોટી કે ચોખા સાથે પણ ખાઈ શકો છો. અને તેને વધુમાં વધુ 10 થી 15 દિવસ સંગ્રહ કરી શકાય છે.