સુરતી ટામેટાના ભજીયા
સૂરતની ઘણી બધી વાનગીઓ સમગ્ર ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. અને ઘણી બધી વાનગીઓ સૂરતની સિમા તોડીને અહીં અમદાવાદ, રાજકો અને બરોડા તેમજ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. સૂરતની જો સૌથી જૂની વાનગી હોય જે પ્રખ્યાત થઈને વિદેશ સુધી પહોંચી ગઈ હોય તો તે છે સૂરતી ઉંધિયું. ઉંધિયું આજે લોકો તેની સિઝન આવે એટલે એકવાર ખાધા વગર તો રહી જ ન શકે. અને ઉતરાયણનો તહેવાર તો જાણે ઉંધિયુ જલેબી ખાવાનું બહાનું જ બની ગયો છે જાણે.
તો સૂરતનું પ્રખ્યાત ઉંધિયું તમે ચાખી લીધું હશે, સૂરતી લોચો પણ તેમજ ખમણ પણ તમે ચાખી જ લીધા હશે અને હવે તે તેમની શાખાઓ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ખુલવા લાગી છે. પણ શું તમે ક્યારેય સૂરતના ફેમસ ટામેટાના ભજીયા ખાધા છે ? જો ન ખાધા હોય તો તમારે તે માટે સૂરત જવાની જરૂર નથી પણ આજની આપોસ્ટમાં અમે તમારી માટે લાવ્યા છીએ સૂરતિ ટામેટાના ભજીયાની રેસીપી.
સામગ્રી
5-6 લીલા મરચા
1 નંગ આદુનો ટુકડો
2 મોટા ટામેટા
½ ચમચી લાલ મરચુ
સ્વાદ અનુસાર મીઠું
પાથી અરધી ચમચી ખાવાનો સોડા
1 કપ ચણાનો લોટ
સૂરતી ટામેટાના ભજીયા બનાવવાની રીત
સૌ પ્રથમ બે મોટા ટામેટા લેવા તેની સ્લાઈસ કરી લેવી. તેને થોડી વાર માટે બાજુ પર મુકી દેવા.
હવે પાંચ-છ મરચા અને એક ઇંચનો આદુનો ટુકડો લઈ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરી લેવી. તમે તમને ગમતી તીખાશ પ્રમાણે મરચાનું પ્રમાણ વધારી ઘટાડી શકો છો.
આદુ મરચાની પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ આ પેસ્ટને ટામેટાની સ્લાઈસ પર પાથરી દો. જેમ સેન્ડવિચની બ્રેડ સ્લાઇસ પર ચટની લગાવો તે જ રીતે તમારે ટામેટા પર આદુમરચાની પેસ્ટનું એક જાડું લેયર પાથરી દેવું.
બધી જ ટામેટાની સ્લાઈસ પર ચટની લગાવાઈ જાય એટલે તેને સાઇડ પર મુકી દેવા.
હવે એક બોલમાં 1 કપ ચણાનો લોટ એડ કરો, તેમાં સ્વાદ અનુસાર મીઠું અને અરધી ચમચી લાલ મરચુ પાઉડર ઉમેરો. હવે તેમાં પાણી નાખી તેનેં બરાબર ફેંટીને તેનું એકરસ બેટર તૈયાર કરી લેવું. તમે ઘરમાં ભજીયા બનાવતા જ હશો માટે ભજીયામાં જેટલું જાડું ખીરું બનાવો છો તેટલું જાડુ બનાવવું. તે વધારે પાતળુ ન થવું જોઈએ કે ન તો વધારે જાડું બનવું જોઈએ.
ચણાના લોટનો એક પણ લંગ્સ તેમાં રહી ન જાય તેનું ધ્યાન રાખવું. તે માટે તેને 5-6 મીનીટ બરાબર હલાવી લેવું.
ભજીયાનું બેટર તૈયાર થઈ ગયા બાદ. ભજીયા તળવા માટે એક કડાઈ કે પછી ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરવા મુકી દેવું.
હવે જે બેટર છે તેમાં પાથી અરધી ચમચી સોડા એડ કરી દેવો. પણ તેને હલાવતા પહેલાં એક ચમચી ગરમ તેલ તેના પર નાખી દેવું અને બેટર બરાબર હલાવી લેવું. આમ કરવાથી ભઝીયાનું જે ચણાના લોટવાળુ પડ છે તે ખુબ જ ક્રીસ્પી તેમજ સ્મૂધ બનશે.
તેલ ગરમ થઈ ગયા બાદ, આદુમરચાની પેસ્ટ ચોંટાડેલી સ્લાઇસ લઈ તેને બેટરથી વ્યવસ્થીત રીતે કવર કરી. તેને તળવા માટે તેલમાં નાખવી. આમ દરેક સ્લાઈસ ધીમે ધીમે તળી લેવી.
ટામેટાના ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી કાઢી લઈ પેપર નેપ્કીન પર લઈ લેવા. જેથી કરીને વધારાનું તેલ સોષાઈ જાય.
હવે તેને સર્વિંગ પ્લેટમાં ટોમેટો સોસ અથવા ટામેટાની ચટપટી ચટની કે પછી કોથમીરની લીલી ચટની સાથે સર્વ કરો. તો તૈયાર છે સૂરતના પ્રખ્યાત ટામેટાના ભજીયા.
સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)
વાનગીનો સંપૂર્ણ વિગતવાર વિડીઓ જુઓ અહિયાં…