વજન ઉતારવા માટે અપનાવો આ રેસિપિ ! તે તમારા શરીરને જરૂરી લગભગ બધા જ પોષક તત્ત્વો આપશે

વજન ઉતારવા માટે રાજગરો એક ઉત્તમ અનાજ છે. તે તમારા શરીરમાંનું મેટાબોલિઝમ ગતિમાન કરે છે અને આ રીતે તે તમારા શરીરને મેદસ્વી થતું અટકાવે છે તેમજ શરીરમાં ચડેલી ચરબીને પણ ઉતારવામાં ઘણીબધી મદદ કરે છે. તો ચાલો બનાવીએ વજન ઉતારવા માટે રાજગરાના લોટનું ખીચુ.

 

રાજગરાના લોટનું ખીચુ બનાવવા માટેની સામગ્રી

1 વાટકી રાજગરાનો લોટ (બજારમાં તૈયાર મળે છે અને તમે ઘરે પણ રાજગરો લાવીને દળી શકો છો)

2 વાટકી પાણી (એટલે કે લોટ કરતાં બે ગણું પાણી)

એક લીલુ મરચું

અરધો ઇંચ આદુનો ટુકડો

½ ચમચી જીરુ

સ્વાદ મુજબ સિંધવ મીઠુ

રાજગરાના લોટનું ખીરુ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક પેન લેવું તેમાં બે વાટકી પાણી ગરમ કરવા મુકી દેવું. ગેસને ફુલ રાખવો. રાજગરો તમારા શરીર માટે ખુબ પૌષ્ટિક અનાજ છે. તેનું તમારે નિત્ય સેવન કરવું જોઈએ. પાણી ગરમ કરવા મુક્યા બાદ તે પાણીમાં જ આદુ છીણીને એડ કરી લેવું. અહીં આદુને છીણવામાં આવ્યું છે પણ તમે તેને વાટીને પણ આદુ મરચાની પેસ્ટ ઉમેરી શકો છો.

હવે તેમાં જીણું સમારેલું એક મરચું ઉમેરવું, સાથે સાથે એક ચમચી જીરુ ઉમેરવું અને પાણીને બરાબર ઉકળવા દેવું.

હવે પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં સિંધવ મીઠુ એટલે કે ફરાળી મીઠું ઉમેરવું. અહીં તમે સંચળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ પાણીને બરાબર ઉકળવા દેવું. પાણી ઉકળતું હોય તે વખતે તેને સતત હલાવતા રહેવું.

રાજગરાનું ખીચુ બનાવીને સાંજે સાત વાગ્યા આસપાસ ખાવાથી તમારુ પેટ ભરાઈ જશે તેમ છતાં તમારા પેટમાં તમને વજન નહીં લાગે.

હવે પાણી ઉકળી જાય એટલે તેમાં એક વાટકી રાજગરો ઉમેરી દેવો અને તેને સતત હલાવતા રહેવો.

રાજગરાનું ખીચુ તમને ચોખાના ખીરા જેટલું જ સ્વાદિષ્ટ લાગશે કારણ કે અહીં પણ ચોખાના ખીચાની જેમ તીખાશ અને જીરુ ઉમેરવામાં આવ્યું હોવાથી તે સ્વાદિષ્ટ બનશે. ચોખાના ખીચામાં જેમ તમે તેને ખાતી વખતે મેથિયો મસાલો અને તેલ ઉમેરો છો તેમ તમારે અહીં જમતી વખતે તેને થોડું વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે ખાતી વખતે ઘી ઉમેરવું.

થોડી વાર બાદ ધીમે ધીમે પાણી બળતું જશે અને રાજગરો ચડતો જશે, પોચો થતો જશે. રાજગરો શરીર માટે ખુબ જ હેલ્ધી હોય છે. અહીં ખીચાની જગ્યાએ તમે જો રાજગરાની ભાખરી અને ઓછા તેલવાળુ કોઈ શાક પણ ટ્રાય કરો તો તે પણ તમારા માટે તેટલું જ હેલ્ધી છે.

અને જો તમે ડાયેટીંગ કરતા હોવ અને સાંજે જમવાનું ટાળતા હોવ અથવા તો સાંજે હળવો ખોરાક લેવાનું પસંદ કરતા હોવ તો તમારા માટે રાજગરાનું ખીચુ બેસ્ટ ઓપ્શન છે.

ધીમે ધીમે ચોખાના ખીચાની જેમ બધું જ પાણી બળી જશે અને તેની કન્સીસ્ટન્ટી રાજગરાના શીરા જેવી થઈ જશે. આવું થાય એટલે સમજી જવું કે ખીચુ તૈયાર છે.

તો તમારો જો શરીર ઘટાડવાનો ઇરાદો હોય અથવા ઘરમાં કોઈનું ભારે શરીર હોય અને તેના કારણે તેને તકલીફ રહ્યા કરતી હોય તો તેવા લોકો સાથે આ રેસિપિ ચોક્કસ શેયર કરજો. જો તમારું શરીર પ્રમાણસરસ હોય તો એવું ન માનતા કે તમારે રાજગરો ન ખાવો જોઈએ પણ તેમાં સમાયેલા બધા જ ગુણો તમને તેટલા જ લાભ કરશે.

રાજગરાના ગુણ

  • રાજગરો પચવામાં ખુબ હળવો હોય છે. અને તેમાં રહેલા રેશા એટલે કે ફાયબરના કારણે કબજીયાતની સમસ્યા પણ દૂર રહે છે.
  • જે લોકોને માઇગ્રેશન રહેતું હોય તેવા પેશન્ટને રાજગરાનું સેવન આરામ આપે છે, કોલેસ્ટ્રોલમાં પણ ઘટાડો કરે છે અને માત્ર થોડાક જ પ્રમાણમાં રાજગરાનું ખીચુ ખાવાથી પણ ભરપુર એનર્જી મળે છે.
  • આ ઉપરાંત રાજગરામાં પાલકની ભાજી કરતાં પણ વધારે આયર્ન સમાયેલું હોય છે અને સાથે સાથે ઘઉં કરતાં વધારે કેલ્શિયમ પણ તેમાં હોય છે.
  • આ સિવાય રાજગરામાં પ્રોટિન પુષ્કળ પ્રમાણમાં મળે છે. અને પ્રોટિન તમારી માસપેશિઓને મજબુત બનાવે છે.
  • અન્ય અનાજની જેમ કે ઘઉં કે જે ગુજરાતીઓનો મુખ્ય ખોરાક છે તેનાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે. તેની સામે રાજગરામાં ખુબ જ ઓછા પ્રમાણમાં ફેટ હોય છે જેનું નિયમિત સેવન તમને મેદસ્વી થતાં અટકાવે છે. અને તમારી ચયાપચયની ક્રિયા પણ ગતિમાન બનાવે છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

રાજગરાનું ખીચુ બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *