કોરોના વાયરસ સામે બચાવ માટે એક માત્ર ઉપાય રસી અને માસ્ક તેમજ સામાજિક અંતરની જાળવણી છે. કોરોના નામનો હાથી તો દેશમાંથી નીકળી ગયો છે બસ તેની પુંછડી હજુ પણ નીકળવાની બાકી છે. એટલે કે કોરોનાના કેસ તો ઘટી રહ્યા છે પરંતુ હજુ પણ કોરોના આપણી વચ્ચેથી ગયો તો નથી જ. તેવામાં દેશમાં રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 9 મહિનામાં તો ભારતે એ કામ કરી બતાવ્યું છે જે કોઈ દેશ કરી શક્યા નથી. 21 ઓક્ટોબરના રોજ દેશમાં 100 કરોડો લોકો રસીના કવચથી સુરક્ષિત થયા હતા.
100 કરોડ રસીના ડોઝ અપાયાના ખુશીમાં 22 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન પણ કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે આટલો મોટો ટાર્ગેટ લોકોના સાથ ના કારણે પુરો કરી શકાયો છે. જો કે તેમની વાત પણ સાચી છે. લોકોમાં પણ કોરોનાને નાથવા માટે અને રસી લઈ સુરક્ષિત રહેવાની જાગૃતિ વધી છે. ખાસ કરીને બીજી લહેર બાદ લોકો વધારે પ્રમાણમાં રસી તરફ વળ્યા હતા. લોકો રસી લેતા પણ થયા અને અન્યને રસી લેવા પ્રોત્સાહિત પણ કરતા થયા છે.
100 કરોડ રસીના ડોઝ અપાયા તે આ વાતનું ઉદાહરણ છે. 100 કરોડ રસીના ડોઝ અપાયાનો ઉત્સાહ સરકારને છે તેટલો જ વધારે એક સુરતના વેપારીમાં પણ જોવા મળ્યો હતો. દેશભરમાં 21 તારીખે લોકોને કોરોનાથી બચાવતી રસીના 100 કરોડ ડોઝ અપાયા હતા ત્યારે આ વાતની ખુશીમાં સુરતના એક વેપારીએ 100 ગ્રાહકોને ફ્રીમાં લોચો ખવડાવ્યો હતો.
દેશમાં કોરોના સામેની લડાઈ તો અવિરત ચાલી રહી છે પરંતુ દેશભરમાં એક મહત્વનું કિર્તીમાન સ્થાપિત થયું છે. વધુને વધુ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન ઝડપભેર ચલાવવામાં આવી કહ્યું છે. તેના કારણે જાન્યુઆરીથી શરુ કરી ઓક્ટોબર સુધીમાં જ દેશના 100 કરોડ લોકોને રસીના ડોઝ સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવ્યા છે.
આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોને વખાણ્યા હતા. આ વાતનો ઉત્સાહ સુરતના એક વેપારીને પણ ખૂબ જ વધારે છે. આ સફળતાની ખુશીમાં સૂરતના વેપારીએ તેના 100 ગ્રાહકોને ‘લોચો’ મફતમાં ખવડાવ્યો હતો. સૂરતનો લોચો દેશભરમાં પ્રખ્યાત છે ત્યારે લોકો હાલની ગુલાબી ઠંડીમાં તો સવાર સવારમાં ગરમા ગરમ લોચો ખાવા માટે લાઈનોમાં ઊભેલા જોવા મળે છે. ત્યારે દેશમાં જ્યારે 100 કરોડ લોકો રસીથી સુરક્ષિત થયા છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલા વેપારીએ રસીના બંને ડોઝ લઈ ચુકેલા 100 લોકોને ફ્રીમાં લોચો ખવડાવ્યો હતો.