આ ચોક્કસપણે એક મોટો ફેરફાર છે. ઘણા કાશ્મીરી પંડિતો અહીં તેમના ઘરો બનાવી રહ્યા છે. એક સમયે હિંસાનું કેન્દ્ર રહેતું દક્ષિણ કાશ્મીર એક નવા યુગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ‘મટન’ અનંતનાગ જિલ્લાનું એક નાનકડું ગામ છે. ઓછામાં ઓછા દોઢ ડઝનથી વધુ કાશ્મીરી પંડિતો નવા મકાનો બનાવી રહ્યા છે અથવા આ મકાનોનું નવીનીકરણ કરી રહ્યા છે. કેટલાક મકાનોનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કેટલાક મકાનોમાં બાંધકામ ચાલી રહ્યું છે. આ ઘરો કાશ્મીરી પંડિતોએ છોડી દેવા પડ્યા હતા. 1990માં આતંકવાદ શરૂ થયા બાદ આ પંડિતોએ ભાગવું પડ્યું હતું.
પંડિતોએ 1990માં દક્ષિણ કાશ્મીર છોડી દીધું હતું :
1996થી મટનમાં રહેતા કાશ્મીરી પંડિત અશોક કુમાર સીડાએ જણાવ્યું કે 1990માં તમામ પંડિતોએ આ જગ્યા છોડી દીધી હતી. અશોક પ્રસિદ્ધ માર્તંડ મંદિરના પ્રમુખ પણ છે. તેમણે કહ્યું કે જ્યારે અહીં હિંસા ફાટી નીકળી ત્યારે લગભગ 200 ઘર સળગાવી દેવામાં આવ્યા હતા. કાશ્મીરી પંડિતોની પણ હત્યા કરવામાં આવી હતી. પરંતુ આપણે બધા મુસ્લિમ સમુદાયને દોષ આપી શકીએ નહીં. મુસ્લિમ સમુદાયના લોકોએ કાશ્મીરી પંડિતોને મદદ કરી હતી. અશોકે કહ્યું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
હવે કાશ્મીરી પંડિતો પરત ફરી રહ્યા છે :
આ ગામમાં લગભગ 15 કાશ્મીરી પંડિત પરિવારો પોતાના ઘરે પરત ફર્યા છે. આ ઘરો વર્ષોથી ખરાબ હાલતમાં હતા અને હવે આખરે એવું લાગે છે કે આ ઘરોમાં ફરી ખુશીનો સમય જોવા મળશે. અશોક કુમારે કહ્યું, ‘હા, એ વાત સાચી છે કે ઘરો ફરીથી બનાવવામાં આવી રહ્યા છે. કાશ્મીરી પંડિતો હવે પોતાના ઘરે પરત ફરવાનું વિચારી રહ્યા છે. અહીં 15 જેટલા મકાનો બની રહ્યા છે, ભવિષ્યમાં વધુ બાંધવામાં આવશે. મને ખાતરી છે કે જો થોડા વર્ષોમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહેશે, તો બધા પાછા આવશે.’
આ ગામમાં મોટાભાગના પંડિતો પાછા ફરે છે :
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા એવા પરિવારો ખીણમાં પાછા આવી ગયા છે જેમણે ક્યારેય અહીં આવવાનું વિચાર્યું પણ નહોતું. મોટાભાગના કાશ્મીરી પંડિતો મટન ગામમાં પાછા ફર્યા છે. તેમના જૂના મકાનો બનાવવામાં સ્થાનિક લોકોએ તેમને ઘણી મદદ કરી. સ્થાનિક મુસ્લિમ રહેવાસીઓ કહે છે કે જૂનો સમય (1980 અને તે પહેલાનો) પાછો ફરી રહ્યો છે.
મુસ્લિમો કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ મદદ કરે છે :
તમને જણાવી દઈએ કે કાશ્મીરી પંડિતોના ઘરનું નિર્માણ કાશ્મીરી મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવે છે. તે આ મિલકતોની સંભાળ લઈ રહ્યો છે અને હવે આ મકાનોના પુનઃનિર્માણમાં પણ મદદ કરી રહ્યો છે. ફારુક અહેમદ લોને કહ્યું, ‘અમે ખૂબ જ ખુશ છીએ કે તેઓ પાછા આવી રહ્યા છે. અમે તેમના ઘર પર કામ કરી રહ્યા છીએ. 15 જેટલા નવા મકાનો બનાવવામાં આવી રહ્યા છે. અમે તેમને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છીએ.’
સંખ્યા ઓછી શરૂઆત મોટી :
કાશ્મીર ખીણમાંથી ત્રણ દાયકાની હિજરત પછી, કાશ્મીરી પંડિત પરિવારો આખરે તેમના ઘરે પરત ફરી રહ્યા છે, સંખ્યા ભલે ઓછી હોય પરંતુ શરૂઆત મોટી છે. એવું લાગે છે કે પંડિત સમુદાય માટે તેમની વતન પરત ફરવાની આ શરૂઆત છે.