રિષભ પંતના અકસ્માતથી કોણ અજાણ છે. રાત્રી દરમિયાન થયેલો આ અકસ્માત હજુ સુધી કોઈ ભૂલી શક્યું નથી. રિષભ પંત અનેકના દિલોમાં રાજ કરે છે, ખુબ જ ભયાનક ઘાયલ થયેલા રિષભ પંતના સમાચાર સાંભળતા જ લોકો ધ્રુજી ઉઠ્યા હતા, પરંતુ હવે રિષભ પંતના ફેન્સ માટે સારા સમાચાર છે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા રિષભ પંતને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ રિષભ આ અઠવાડિયે પોતાના ઘરે પરત ફરી શકશે. જોકે, તેને મેદાનમાં પરત ફરવામાં ઘણો સમય લાગશે. શક્ય છે કે આ આખું વર્ષ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી ન કરી શકે. હાલમાં, તેઓ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે, તેમને માર્ગ અકસ્માતના 6 દિવસ પછી જ દેહરાદૂનની હોસ્પિટલમાંથી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા.
એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘તે ઈજામાંથી સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. મેડિકલ ટીમ માટે આ સારા સમાચાર છે. તેની પ્રથમ સર્જરી સફળ રહી હતી અને તે જ દરેક લોકો સાંભળવા માંગતા હતા. તેમને આ અઠવાડિયે રજા આપવામાં આવશે.
એક સૂત્રએ કહ્યું, ‘તેને એક મહિનામાં બીજી સર્જરીની જરૂર પડી શકે છે. આ ડોક્ટરો નક્કી કરશે કે બીજી સર્જરી કરવી કે નહીં. BCCIની મેડિકલ ટીમ નિયમિતપણે ડૉ. પારડીવાલા અને હોસ્પિટલના સંપર્કમાં છે. અમને આશા છે કે અમે તેને ટૂંક સમયમાં મેદાનમાં જોઈશું.
બીસીસીઆઈના અધિકારીનું કહેવું છે કે, ‘અત્યારે અમે તેની વાપસી વિશે વિચારી રહ્યા નથી. અત્યારે માત્ર તેની રિકવરી પર ફોકસ છે. તે ક્યારે પરત ફરશે તે કહેવું બહુ વહેલું છે. હાલમાં તેના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ મુજબ તેને મેદાનમાં પરત ફરતા 8 થી 9 મહિનાનો સમય લાગી શકે છે. અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે તે વર્લ્ડ કપ પહેલા ફિટ થઈ જાય, જોકે તે મુશ્કેલ લાગે છે.