ભારતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અને ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે આજે સૌથી માઠા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ભારત યુવા ક્રિકેટર અવી બારોટનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ફક્ત 29 વર્ષના હતા અને તેમના માટે હાર્ટ એટેક જીવલેણ સાબિત થયો. ઉલ્લેખીનય છે કે અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. તેમના મૃત્યુ અંગે સમાચારની માહિતી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આપી હતી.
ભૂતપૂર્વ ભારતીય અંડર -19 ટીમના કેપ્ટન અવી બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમમાં હતા જેણે 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને જણાવ્યું હતું કે હરિયાણા અને ગુજરાત માટે પણ ક્રિકેટ રમનાર અવી બારોટ હવે આપણી વચ્ચે નથી. શુક્રવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અવી બારોટના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે અવી એક અદ્ભુત ક્રિકેટર હતો અને તેના અચાનક આ રીતે જવાથી સૌરાષ્ટ્રને મોટું નુકસાન થયું છે.
અવી બારોટ વિકેટકીપર અને બેટ્સમેન હતો. તેણે પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી -20 માં 717 રન બનાવ્યા હતા. મહત્વું છે કે જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો ત્યારે અવી બારોટ તે ટીમમાં હતા. સૌરાષ્ટ્ર માટે તેણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી.
અવી બારોટ વર્ષ 2011 માં ભારતની અંડર -19 ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા. ઘરેલું ટી 20 માં તેમણે ધુંઆધાર એક સદી ફટકારી હતી. તેમણે ગોવા સામેની મેચમાં માત્ર 53 બોલમાં 122 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તે તેની આક્રમક બેટીંગ માટે જાણીતા હતા.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે અવી બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ સમાચાર છે. બારોટ ઉત્તમ ખેલાડી હતો, જેની પાસે અદભૂત ક્રિકેટ કુશળતા હતી. તાજેતરમાં રમાયેલી તમામ ઘરેલુ મેચોમાં બારોટનું પ્રદર્શન અદભૂત રહ્યું હતું. તે એક સારા ખેલાડી સાથે ઉમદા વ્યક્તિ અને મિત્ર હતો. તેમના અચાનક અવસાનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા દરેકને ભારે દુ:ખ થયું છે.