લીલી હળદરનું શાક – સીઝન પુરી થઇ જાય એ પહેલા એકવાર જરૂર બનાવજો બધાને પસંદ આવશે…

કેમ છો ફ્રેન્ડસ…કહેવાય છે કે શિયાળો એટલે હેલ્થ બનાવવાની સીઝન. શિયાળામાં વસાણાં અને શાકભાજી તેમજ સિઝનલ ફળો ખાઈને આખું વર્ષ હેલ્ધી રહી શકાય છે. શિયાળામાં આવતાં ગાજર, પાલક, મેથીની ભાજી, લીલું લસણ, ડુંગળી, લીલી હળદર વગેરે ગુણોના ભંડાર છે.

લીલી હળદરના ફાઇબર્સનો લાભ લેવા માટે લીલી હળદરને પીસીને થેપલાં કે પરોઠામાં ઉમેરી શકાય છે. લીલી હળદરથી નહાવાથી શરીર પરના કાળા ડાઘા પણ દૂર થાય છે. તેમજ હળદરની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે અને તેને ખાવાથી સ્કિનના રોગો પણ દૂર થાય છે. આ રીતે લીલી હળદર વાપરવાથી તે સ્વાસ્થ્યની સાથે સાથે સ્કિન માટે પણ ગુણકારી સાબિત થઈ શકે છે.

તો ચાલો મિત્રો જોઈ લયીયે લીલી હળદર ના શાક માટેની સામગ્રી….

લીલી હળદરનું શાક

  • 500 ગ્રામ – સૂકી ડુંગળીની પેસ્ટ
  • 500 ગ્રામ -ટમેટાની અધકચરી ગ્રેવી
  • 500 ગ્રામ – લીલી હળદર
  • 250 ગ્રામ – लीलू લસણ
  • 100 ગ્રામ – ઘી
  • 250 ગ્રામ- દહીં
  • 100 ગ્રામ – આદું
  • 50 ગ્રામ- મરચાની પેસ્ટ
  • 250 ગ્રામ લીલા વટાણા
  • 100 ગ્રામ કોથમીર
  • 200-ગ્રામ સમારેલ ગોળ
  • મીઠુ, લાલ મરચું

લીલી હળદરનું શાક બનાવવાની રીત:

સૌપ્રથમ હળદરને છોલી છીણી લેવું. પછી પેન ગરમ મૂકી ઘી ઉમેરવું.હવે તેમાં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી .

પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.

ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી.

પછી જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું. પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.

છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે સર્વ કરવું.

આ સિવાય લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકે અથવા અથાણું બનાવીને પણ કરી શકાય.

લીલી હળદરના ફાયદા

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *