માત્ર 7 મિનિટ મેડિટેશન કરીને પાતળા થાઓદિવસ દરમિયાન ઓછામાં ઓછું સાત મીનીટ મેડીટેશન કરો અને પાતળા રહો. એક રિસર્ચમાં એવું જાણવા મળે છે કે જેઓ ઓછામાં ઓછું સાત મિનીટ મેડિટેશન રોજ કરે છે તેમને ક્રેવિંગ એટલે કે આડું અવળુ ખાવાની લાલચ ઓછી થાય છે. વગર ભૂખે વારંવાર ખાવાનું મન થાય તેને આપણે ક્રેવિંગ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસ દરમિયાન ખૂબ ખોરાક લેવાતો હોય છે. વગર ભૂખે ખાવાનું મન થતું હોય છે અને ઘણીવાર ગુસ્સામાં કે દુઃખમાં ખૂબ જ ખવાતું હોય છે. આ એક માનસિકતા છે. જો તમે રેગ્યુલર મેડિટેશન કરશો તો લાંબા સમય સુધી તમારા મગજને કાબુમા રાખી શકશો. નાની નાની વાતોમાં ક્રોધિત થવાશે નહીં અને વધુ પડતો ખોરાક આરોગવાની જરૂર પડશે નહીં. આ ઉપરાંત જ્યારે મન શાંત હશે ત્યારે મગજ હીલીંગ હોર્મોન્સ છુટ્ટા કરે છે જે વ્યક્તિની ઉંમર પણ વધારે છે.વળી મેડીટેશન કરવાથી આપણે વસ્તુઓને સ્વીકારતા શીખીએ છીએ, અને તેથી જ વગર સમયની ભૂખ, ખાલી ખાલી ગળ્યું ખાવાનું મન થવું. દિવસ દરમિયાન વારંવાર સુકા નાસ્તા ખાવા વિગેરે ટેવો ઓછી થઈ જાય છે અને તેથી હતાશા આવતી નથી અને લાંબે ગાળે ખોટી વસ્તુઓ ખાવાની ટેવથી દૂર રહેવાય છે.
આ પ્રમાણેના મેડિટેશન કદાચ દરેક વ્યક્તિ માટે સફળ ના નિવડે, તો તમે અન્ય એવા ઉપાયો પણ કરી શકો છો કે જે તમને બિનજરૂરી નાશ્તો કરતા રોકે.
તમારા માટેની રીત નક્કી કરો.
1. ખૂબ જ મન હોય તો થોડા પ્રમાણમાં ખાઈ લોઃ-
ઘણીવાર ઘરમાં બનેલી નવી વાનગીઓ વારંવાર ખાવાનું મન થઈ જતું હોય છે. તે શરીર માટે નુકસાનકારક છે અને વધુ ખાવાથી વજન વધી જશે તે જાણવા છતાં પણ ખાઈ જવાય છે. આવા સમયે બનેલી વસ્તુ થોડી જ ખાઈને સંતોષ માની લો. અથવા મોટા હેલ્ધી નાસ્તાના વાટકામાં થોડીક તમારી ગમતી સ્વાદિષ્ટ વાનગી નાખીને ખાઈ લો અને ભાવતી વસ્તુનો સ્વાદ માણો.
2. ટેલીવિઝનની સામે બેસીને જમવું નહીઃ- તમે જ્યારે આરામથી ડાઇનીંગ ટેબલ પર બેસીને જમો છો ત્યારે ખુબ ચાવીને ખાવ છો, સ્વાદ માણો છો અને થોડામાં જ પેટ ભરાઈ જાય છે. જ્યારે ટેલીવિઝન જોવામાં તમે એટલા ઓતપ્રોત હોવ છો કે કેટલું ખાઈ જાઓ છો તેનો ખ્યાલ રહેતો નથી. વળી ખૂબ ઉતાવળથી ખાધેલા ખોરાકનું પાચન સારું થતું નથી અને ખોરાક વધુ માત્રમાં ખાઈ જવાથી વજન પણ વધતું જાય છે.
3. દિવસ દરમિયાન 2થી 3 ફ્રૂટ અને 4થી5 જાતના શાકભાજી ખાઓઃ
દરેક ફળ અને શાકભાજીમાં વિપુલ પ્રમાણમાં ફાઇબર્સ આવેલા છે. વળી જુદા જુદા રંગ મુજબ જુદાં જુદાં વિટામીન્સ અને મીનરલ્સ આવેલા છે. દરેક ફળ અને શાકભાજી તમને જુદાં જુદાં ફાયદા કરાવે છે. જેમ કે કેરીમાં બીટાકેરોટીન વધુ હોય છે તો ટામેટામાં વિટામીન સી વધુ હોય છે. વળી ખાંડનું પ્રમાણ કેળામાં વધુ છે. તો તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. માટે જ્યારે આપણે રોજિંદા ખોરાકમાં શાકભાજી અને ફળનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શરીરને જોઈતા લગભગ બધા જ વિટામીન અને કાર્બોદિત પદાર્થો મળી જાય છે.
ફળ અને શાકભાજીમાં આવેલાં ફાઈબર્સ વારંવાર ભૂખ લગાડતાં નથી અને પેટ ભરાયેલું લાગતાં વારંવાર નાસ્તા કરવાનું મન થતું નથી બની શકે તો અઠવાડિયામાં એક વખત ફક્ત શાકભાજી અને ફળનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. તેનાથી વજન વધતું અટકશે.