કેમ છો ફ્રેન્ડસ..
શ્રાદ્ધ ચાલુ છે એટલે ખીર તો બનાવાની હોય છે તો આજે આપણે રવા ની ખીર બનાવીશું …અને સાથે જાણીએ કે બ્રાહ્મણોને ખીર કેમ ખવડાવવામાં આવે છે.
પિતૃ પક્ષ મતલબ શ્રાદ્ધ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ અનુષ્ઠાન બ્રાહ્મણ ભોજન વગેરે જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે છે. આમાં આપણે બ્રાહ્મણોને સાદુ અને સાત્વિક ભોજન ખવડાવવુ જોઈએ. ગળ્યામાં ખીર-પુરી બનાવવી અનિવાર્ય હોય છે. આ સ્વાદ અને સાત્વિક ભોજન માનવામાં આવે છે.
પંડિતો મુજબ ખીર બધા પકવાનોમાંથી ઉત્તમ છે. ખીર મીઠી હોય છે અને ગળ્યુ ખાધા પછી બ્રાહ્મણ સંતૃષ્ટ થઈ જાય છે. જેનાથી પૂર્વજ પણ ખુશ થાય છે. પૂર્વજોની સાથે સાથે દેવતા પણ ખીરને ખૂબ પસંદ કરે છે. તેથી દેવતાઓને ભોગમાં ખીર ચઢાવવામાં આવે છે.
ખીર બનાવવી ખૂબ જ સહેલી હોય છે. તેને બનાવવા માટે દૂધ અને ચોખા સહેલાઈથી મળી જાય છે. તેથી તેને બનાવવામાં પરેશાની થતી નથી. આ જ કારણ છે કે ખીરનો પ્રસાદ અને ભોગ લગાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે.
તો જોઈ લો ફ્રેન્ડસ રવા ની ખીર માટે ની સામગ્રી :-
“રવા ની ખીર”
સામગ્રી –
- ૫૦૦ ગ્રામ – દૂધ
- અર્ધી વાટકી – ખાંડ
- ૪ ચમચી – રવો
- ૫ ચમચી – કોપરાનું છીણ
- ૧ ચમચી – ઇલાયચી પાઉડર
- અર્ધી ચમચી – જાયફળ પાઉડર
- ૫ ચમચી – ઘી
- ૫ – કાજુ
- ૫ – બદામ
- ૫-૬- કેસર નાં તાંતણ
રીત :-
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. હવે દૂધ માં કેસર નાખી ઉકળવા મૂકવું.
હવે ૩ ચમચી ઘી માં રવા ને સરખું શેકી લેવું. પછી તેમાં કોપરાનું છીણ મિક્સ કરવું. શેકાઈ જાય એટલે રવા ને નીચે ઉતારી લેવું.
હવે ઉકળતા દૂધ માં ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી ઉકાળવું.હવે તેમાં શેકેલો રવો મિક્સ કરવો.રવો નાખીએ ત્યારે એક હાથથી હલાવતા રેવું નહીતો દૂધ જલ્દી ઉભરાઈ જશે.
તૈયાર ખીર સર્વ કરતી વખતે ઉપરથી બદામ કાજુ ઉમેરી પીરસવી…
તો તૈયાર છે શ્રાદ્ધ માં ધરાવવા રવા ની ખીર….
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.