ઉપવાસમાં રાજગરાનો શીરો ખુબ ભાવે છે અને લોકો તેને નિયમિતરીતે ઉપવાસ દરમિયાન બનાવતા પણ હોય છે. પણ લોકોને હંમેશા રાજગરાના લોટનો શીરો બનાવતી વખતે એક ફરિયાદ રહે છે કે તે ચીકણો થઈ જાય છે તો જો તમારે ચીકણો શીરો ન બનાવવો હોય તો રાજગરાની ધાણી ફોડીને તેનો શીરો બનાવો ખુબ જ સ્વાદિષ્ટ શીરો બનશે.
રાજગરાની ધાણી ફોડીને શીરો બનાવવા માટેની સામગ્રી
1 વાટકી રાજગરો અથવા રાજગરાની ધાણી એક મોટો વાટકો
1 વાટકો પાણી
1/3 વાટકો ઘી
1/3 વાટકો ખાંડ
રાજગરાની ધાણી ફોડીને શીરો બનાવવાની રીત
સૌ પ્રથમ રાજગરાની ધાણી ફોડવા માટે એક નાની વાટકી રાજગરો લેવો.
હવે એક જાડા તળિયા વાળુ તપેલી જેવું વાસણ લેવું તેને ગરમ થવા મુકવું. વાસણ એકદમ ગરમ થાય એટલે તેમાં થોડા પ્રમાણમાં રાજગરો નાખવાનો.
રાજગરો નાખ્યા બાદ અહીં બતાવ્યું છે તેમ એક ચોખ્ખા નેપકીનથી તેને હલાવી હલાવીને તેની ધાણી ફોડી લેવી. ગેસને ફુલ રાખવો ધીમે ધીમે રાજગરાના દાણાની ધાણી ફુટવા લાગશે. ધાણી દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. એટલે અરધાથી વધારે ધાણી ફુટી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
ધાણી ફુટવા લાગે એટલે ગેસ ધીમો કરી દેવો અને અરધાથી વધારે ધાણી ફૂટી જાય એટલે ગેસને બંધ કરી દેવો. ધાણી ફોડતાં માત્ર અરધી મીનીટનો જ સમય લાગે છે.
હવે ફુટેલી ધાણીને એક ડીશમાં કાઢી લેવી અને આવી જ રીતે બાકીની ધાણી પણ થોડી થોડી કરીને ફોડી લેવી.
હવે જે વાસણ ભરીને ધાણી ફોડી છે તેટલું જ સામે પાણી લેવાનું છે. અહીં એક મોટો વાટકો રાજગરાની ધાણી છે તો તેની સામે તેની સામે તે જ ધાણીના ત્રીજા ભાગનું ઘી તેમજ ખાંડ લેવાના છે.
હવે એક બાજુ એક તપેલીમાં પાણી ગરમ થવા મુકી દેવું. તે દરમિયાન બીજા બર્નર પર શીરો બનાવવા માટે નનસ્ટીક પેન કે પછી કડાઈ ગરમ થવા મુકી દેવા.
હવે ગરમ થયેલા પેનમાં ઘી ઉમેરી દેવું અને ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં રાજગરાની ફોડેલી ધાણી ઉમેરી દેવી. અને તેને બરાબર મિક્સ કરી લેવું. ઘીનું પ્રમાણ અહીં વધારે નહીં પણ માત્ર ધાણી પલળે તેટલું જ રાખવાનું છે અને રાજગરાની ધાણીને અહીં ઘીમાં શેકવાની નથી કારણ કે તેને ફોડવાથી તે ચડી જ ગયેલી હોય છે. માટે તેને માત્ર ગરમ ઘીમાં મિક્સ જ કરી લેવી.
હવે ધાણીને વધારે નહીં શેકતા તેને માત્ર એક જ મિનિટ માટે શેકવી અને તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી દેવું અને તેને હલાવીને મિક્સ કરી લેવું.
હવે તેમાં ખાંડ પણ ઉમેરી દેવી. ખાંડનું પ્રમાણ તમને ભાવતા ગળપણને ધ્યાનમાં રાખીને વધારી ઘટાડી શકો છો.
હવે ફુલ ગેસ પર જ શીરો ચડવા દેવો ખાંડ ઓગળતા વાર નહીં લાગે. આ સ્ટેજ પર શિરામાં બહુ બધું પાણી દેખાશે તેને બળવા દેવું.
આની જગ્યાએ તમે રાજગરાના લોટનો શીરો બનાવશો તો તે ચીકણો થઈ જશે તેવો ભય રહે છે અને ઘણા લોકો માટે આ સમસ્યા કાયમી હોય છે તેમને ગમે તે કરવા છતાં શીરો ચીકણો જ રહી જાય છે પણ આ રીતે રાજગરાની ધાણીનો શીરો એકદમ કણીદાર અને ચિકાશ વગરનો બને છે.
હવે તમે જોશો તો ઘી છુટ્ટુ પડવા લાગ્યું હશે અને સરસ રીતે રાજગરાનો શીરો તૈયાર ગયો હશે. હવે તમે તેમાં સુકો મેવો જેમ કે કાજુ, બદામ, ઇલાઈચી, કીશમીશના જીણા ટુકાડા કરીને ઉમેરી શકો છો. આ સિવાય તમે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો તેની સાથે સુકીભાજી બનાવીને પણ તમારી ફરાળ પુરી કરી શકો છો.
રસોઈની રાણીઃ નીધી પટેલ
રાજગરાની ધાણી ફોડીને શીરો બનાવવા માટે વિગતવાર વિડિયો