દિવાળી ખુશીઓ અને ઉમંગનો તહેવાર છે. આ તહેવાર ઘર અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. આ પર્વ ખાસ એટલે પણ બની જાય છે કે આ દિવસોમાં ઘરમાં અલગ અલગ વ્યંજન બને છે. સ્વાદના શોખીનો હોય તેમને તો દિવાળીમાં રીતસર જલસા પડી જાય છે. દિવાળી પહેલાથી જ એટલે કે ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈ બીજ, ગોવર્ધન પૂજામાં અનેક સામગ્રી ઘરમાં બને છે.
આ સામગ્રીને પૂજામાં ધરાવી અને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. તો આ વર્ષે તમને જણાવીએ એવી મીઠાઈઓ વિશે કે જેને દિવાળીના દિવસોમાં ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની ખામી રહેવા દેતા નથી. તો ચાલો આજે તમને જણાવીએ કે દિવાળીના પર્વમાં કયા દિવસે કઈ કઈ વાનગીઓ ખાવાનું ખાસ મહત્વ છે.
ધનતેરસ
ધનતેરસથી દિવાળીના પર્વની શરુઆત થાય છે. આ દિવસે ઉત્તર ભારતમાં ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે. જેમાં નાની કન્યાઓ સાથે પરિવાર અને મહેમાનો દહી પુરી જેવી વાનગી ખાય છે. આ દિવસે ચટપટી વસ્તુ ખાવાનું વિશેષ મહત્વ રહેલું છે.
કાળી ચૌદશ
કાળી ચૌદશના દિવસે પવનપુત્ર હનુમાનનો જન્મ થયો હતો. તેથી આ દિવસે હનુમાનજીના મંદિરમાં લાડુનો ભોગ ધરાવવાનો હોય છે. આ પ્રસાદનું સેવન પરીવારના સભ્યોએ સાથે મળીને કરવું જોઈએ. ઘરે બુંદીના લાડુ બનાવો તો તે વધારે શુભ માનવામાં આવે છે.
દિવાળી
દિવાળીના દિવસે તો ઘરમાં ભોજન માટે અનેક વસ્તુઓ બને છે. પરંતુ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તેમને મખાનાની ખીર ધરાવવી જોઈએ. મખાનાની ખીર માતા લક્ષ્મીને ખૂબ પસંદ છે. ભોગ ધરાવ્યા બાદ પરિવાર સાથે તેનું સેવન કરવું જોઈએ.
ગોવર્ધન પૂજા
ગોવર્ધન પૂજા નિમિત્તે પણ અનેક પકવાન બને છે. ખાસ કરીને આ દિવસે માલપુઆ બનાવવામાં આવે છે. દિવાળીમાં વાતાવરણમાં ફેરફાર થવાનું શરુ થાય છે તેવામાં માલપુઆ સ્વાસ્થ્યને પણ લાભ કરે છે.
ભાઈબીજ
ભાઈબીજના દિવસે બહેન ભાઈઓને પોતાના હાથે બનાવેલી વાનગીઓ ખવડાવે છે. આ દિવસે થાળીમાં અનેક વાનગી પીરસો પરંતુ તેમાં ચોખાની વાનગી અચૂક રાખવી. આ દિવસે ચોખામાંથી બનતી મીઠી વાનગી સિવાય તમે બિરયાની જેવી વાનગી પણ બનાવી શકો છો. આ દિવસે ભાઈને ચોખાની વાનગી જરૂરથી જમાડવી.